મળતી માહિતી મુજબ આતિશીની સાથે ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, સૌરભ ભારદ્વાજ અને ઈમરાન હુસૈન કેબિનેટ મંત્રી તરીકે શપથ લેશે. મુકેશ અહલાવતે પણ કેબીનેટ મંત્રીમંડળના શપથ લેશે.
દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેના દ્વારા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું રાજીનામું અને આતિશી દ્વારા નવી સરકાર બનાવવા અંગેનો પત્ર રાષ્ટ્રપતિને મોકલ્યો છે.
વધુમાં જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દળના નવા નેતા તરીકે ચૂંટાયા બાદ આતિશીએ ઉપરાજ્યપાલ વીકે સક્સેના સાથે મુલાકાત કરી હતી અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. ઉપરાજ્યપાલે નવી સરકારના શપથ ગ્રહણ માટે 21 સપ્ટેમ્બરની તારીખનો પ્રસ્તાવ મૂક્યો છે.
ઉલ્લેખનીય છે કે લિકર કૌભાંડમાં જામીન પર જેલમાંથી બહાર આવ્યા બાદ અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. રાજીનામાની જાહેરાત કરતી વખતે કેજરીવાલે કહ્યું હતું કે હવે તેઓ જનતાની અદાલતમાં જશે અને જ્યાં સુધી તેનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી તેઓ સી.એમ.ની ખુરશી પર નહીં બેસશે. કેજરીવાલના રાજીનામા બાદ આતિશીએ સરકાર બનાવવાનો દાવો પેશ કર્યો હતો.