આમ આદમી પાર્ટીના નેતા આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી બનવા જઈ રહી છે. AAP વિધાનસભ્ય દળની બેઠકમાં તેઓ નેતા તરીકે ચૂંટાયા હતા. સીએમ ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનો આભાર વ્યક્ત કર્યો. આતિશીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં જ એવું થઈ શકે છે કે એક સામાન્ય પરિવારની મહિલાને મુખ્યમંત્રી બનાવી શકાય.
ધારાસભ્ય દળની બેઠક બાદ આતિશીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'મને ધારાસભ્ય બનાવવામાં આવી, પછી મંત્રી અને આજે મને મુખ્યમંત્રીની જવાબદારી આપવામાં આવી રહી છે. આજે હું પણ દુખી છું કારણ કે દિલ્હીના લોકપ્રિય મુખ્યમંત્રી મારા મોટા ભાઈ અરવિંદ કેજરીવાલ આજે રાજીનામું આપી રહ્યા છે. દિલ્હીની જનતાના લોકપ્રિય અને એક જ મુખ્યમંત્રી છે અને તે છે અરવિંદ કેજરીવાલ. ભાજપે એક ઈમાનદાર માણસ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો.
મને અભિનંદન ન આપો- આતિશી. દિલ્હીના નવા સીએમ બનવા પર આતિશીએ કહ્યું કે, "કોઈએ મને અભિનંદન ન આપવું જોઈએ કે ફુલહારથી મારુ સ્વાગત ન કરવુ જોઈએ. મનપસંદ મુખ્યમંત્રીએ રાજીનામું આપવું પડ્યું તે દુઃખદ ક્ષણ છે.'' AAP નેતાએ કહ્યું, ''કેજરીવાલે એવું કર્યું જે વિશ્વના ઇતિહાસમાં કોઈ નેતાએ ન કર્યું હોય. જ્યા સુધી જનતા નિર્ણય નહી કરે ત્યા સુધી અરવિંદ કેજરીવાલ સીએમ પદ નહી સંભાળે.
આતિશીએ કહ્યું, “હું આગામી થોડા મહિનામાં ચૂંટણી સુધી જ મુખ્યમંત્રી રહીશ. ભાજપ એલ.જી.ના માધ્યમથી દિલ્હીની જનતા વિરુદ્ધ ષડયંત્ર રચશે. જ્યાં સુધી મારી પાસે આગામી કેટલાક મહિનાઓ સુધી આ જવાબદારી છે ત્યાં સુધી હું દિલ્હીના લોકોની સુરક્ષા કરીશ.
તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલ 13 સપ્ટેમ્બરે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં જામીન મળ્યા બાદ તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા. જે બાદ તેમણે સીએમ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેઓ આજે સાંજે 4.30 વાગ્યા સુધીમાં એલજીને પોતાનું રાજીનામું સોંપશે.