છેલ્લા કેટલાક સમયથી ટ્રેન ઉથલાવવાની ઘટનામાં સતત વધારો થયો છે. ત્યારે આજે ગુજરાતમાં ફરી એક વાર કેટલાક આતંકી તત્વો દ્વારા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટના બોટાદના કુડલી ગામની છે, જ્યા રેલવે પાટા પરથી લોખંડના ટુકડા મળી આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર ભાવનગર-ઓખા ટ્રેન સાથે આ ઘટના બની હતી. બોટાદ DySP સહિતના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા. તપાસ દરમિયાન રેલવે પાટા પરથી લોખંડના ટુકડા મળી આવ્યા છે. જો કે આ ઘટનામાં રેલવે અધિકારીઓની ટીમે પણ વધુ તપાસ હાથ ધરી છે.
વધુમાં આ બાબતે બોટાદના એસપી કે એફ બળોલીયાએ જણાવ્યુ હતુ કે બોટાદ જિલ્લાના રાણપુર પો.સ્ટે હદમાં ઓખા-ભાવનગર ટ્રેન જતી હતી તે દરમિયાન કોઇએ ટ્રેનના પાટાની વચ્ચે 4 ફૂટનો લોખંડનો ટૂકડો રેલની પટરીની વચ્ચે ઉભો કરી દીધો હતો.
ટ્રેનના એન્જીન સાથે ટુકડો અથડાતા ટ્રેન ઉભી રહી ગઇ હતી. સમગ્ર ઘટનાની જાણ થતા એલસીબી, એસઓજી સહિત પોલીસતંત્ર દ્વારા બનાવ કઇ રીતે બન્યો તેની તપાસ ચાલુ કરી દેવામાં આવી છે. પોલીસ તથા રેલ્વે ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા રેલ્વે પાટા પરથી લોખંડના ટુકડા મળ્યા હતા. જે ટ્રેનના એન્જીન સાથે અથડાવાના કારણે ટ્રેનનું એન્જીન બંધ થયું હતું. ત્યારે ટ્રેન ઉથલાવાનો પ્રયાસ થયો હોય તેવી આશંકાએ તપાસ હાથ ધરવામાં આવી છે. આ બાબતે SP, DySPએ વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં થયો હતો ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ
અગાઉ સુરતમાં પણ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુરતના કીમ રેલવે સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ ખુલ્લી મળી આવી હતી. કોઈ અજાણ્યા વ્યક્તિએ અપ ટ્રેકમાંથી ફિશ પ્લેટ અને કેટલીક ચાવીઓ ખોલી અપ ટ્રેક પર મૂકી દીધી હોવાનું સામે આવ્યુ હતુ. પરંતુ પોલીસ તપાસમાં સ્થળ પરના કર્મચારીઓનું જ નામ સામે આવ્યું હતું.