કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવે ખેડા જીલ્લાના ઉત્તરસંડા પાસે આવેલા નવ નિર્મિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. મંત્રીએ સ્ટેશન પર આ ચાલી રહેલ કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ. તેમણે સ્ટેશન પરના ૩ ફ્લોરની મુલાકાત લઈ કામગીરીની ગુણવત્તા પણ નિહાળી હતી. આમ તેમણે સ્ટેશનના ફ્લોરથી છત સુધીના બાંધકામનું નિરીક્ષણ કર્યુ હતુ.
કેન્દ્રીય મંત્રીએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતુ કે ૩૬૦ કિ.મી જેટલી લાઈનનું કામ પુર્ણતાના આરે આવ્યું છે. તેમણે જણાવ્યું કે બુલેટ ટ્રેનની સ્પીડને લીધે ઉભા થતા પ્રેશર ઝોનને ધ્યાનમાં લઈને ઉત્તરસંડા બુલટે સ્ટેશન પર ગ્રાઉન્ડ લેવલ, કોન્કોર્સ લેવલ અને પ્લેટફોર્મ લેવલ સુધી સુદ્રઢ કામગીરી કરવામાં આવી છે. ખાસ કરીને જ્યારે બુલેટ ટ્રેન ૩૫૦ કિ.મી ની સ્પીડ પર સ્ટેશન પર આવે ત્યારે સ્ટેશનમાં લાઈટ, કેબલ સહિત સમગ્ર માળખામાં કોઈ ડિસ્ટર્બન્સ ન ઊભું થાય તે બાબતનું ધ્યાન રાખવામાં આવ્યુ છે.
વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે થાણે, વાપી, સુરત, વડોદરા, નડિયાદ/આણંદ અને અમદાવાદ સુધીના તમામ શહેરો સિંગલ ઈકોનોમિક ઝોનમાં તબદીલ થશે જેનાથી ઈકોનોમીમાં ગતિશીલતા આવશે, આ પ્રસંગે ખેડા સાંસદ દેવુંસિહં ચૌહાણ, નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, રેલવેના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.