વડોદરામાં બીજા નોરતે ભાયલી ગામની સીમમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસમાં પોલીસે પોક્સો કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. દુષ્કર્મ આચરનારા નરાધમોને ઝડપી અને કડકમાં કડક સજા થાય તે માટે પોલીસ દ્વારા ફક્ત 17 દિવસમાં જ 6 હજાર જેટલા પાનાની ચાર્જશીટ રજૂ કરાઇ છે. ચાર્જશીટમાં નરાધમો સામે 100 સાક્ષીના નિવેદનો, અને મેડિકલ રિપોર્ટ સહિત અનેક મહત્વપૂર્ણ પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. તેમજ કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે.
ભાયલી દુષ્કર્મ કેસમાં 17 દિવસમાં જ પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ
સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો ભાયલી- બીલ ટીપી રોડ ઉપર નવરાત્રિના બીજા નોરતે સગીર મિત્ર સાથે બેસવા માટે ગયેલી સગીરા ઉપર બે બાઇક ઉપર આવેલા 5 શખસોમાંથી 3 હવસખોરોએ દુષ્કર્મ આચર્યું હતું.આ ઘટનાના ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.
આ ઘટનાની તપાસ માટે એસઆઇટીની પણ રચના કરવામાં આવી. શહેર ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં સંડોવાયેલા 5 નરાધમો મુમતાઝ ઉર્ફ આફતાબ સુબેદાર બનજારા, મુન્ના અબ્બાસ બનજારા, શાહરૂખ કિસ્મતઅલી બનજારા તેમજ સૈફઅલી બનજારા અને અજમલ બનજારાની ધરપકડ કરી હતી. તેમજ હાલ આ તમામ આરોપીઓ જેલમાં બંધ છે.
પોક્સો કોર્ટમાં 6 હજાર પાનાની ચાર્જશીટ રજૂ
તપાસ એજન્સી દ્વારા આરોપીઓને બે વખત કોર્ટમાં રજૂ કરી પ્રથમ વખત 2 દિવસના અને બીજી વખત 4 દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરાઇ હતી. 8 ઓક્ટોબરે આરોપીઓને બે દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા. બે દિવસના રિમાન્ડ દરમિયાન કેટલાક પુરાવા એકઠા કરવા માટે વધુ રિમાન્ડની જરૂર હોવાથી પોલીસ દ્વારા 10 ઓક્ટોબરે 7 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા.
કોર્ટે રિમાન્ડ અરજી અને વકીલોની દલીલોને ધ્યાનમાં લઇ તા. 14 ઓક્ટોબર સુધીના રિમાન્ડ એટલે કે 4 દિવસના મંજૂર કર્યા હતા. પોલીસે રિમાન્ડ દરમિયાન સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવા સહિત ગુનાને લગતી તપાસ હાથ ધરી હતી અને નરાધમોને કડકમાં કડક સજા થાય તેવા પુરાવા એકત્ર કર્યા હતા.